Archive

Archive for the ‘શ્રી જલન માતરી’ Category

ઊંડે ગયા વિના કદી મોતી પમાય છે ?

ઘૂંટી લે શ્વાસ જ્યાં લગી ઘૂંટી શકાય છે
ઊંડે ગયા વિના કદી મોતી પમાય છે ?

અંધારા જેની જિંદગીને વીંટળાય છે
વેધે છે લક્ષ્ય એ જ સફળ એ જ થાય છે

હદથી વધારે શોચતાં થાકી જવાય છે
સમજ્યો છું તુજને જેટલો સમજી શકાય છે

ઝુલ્ફો છે અસ્તવ્યસ્ત, ન મુખ ઓળખાય છે
એવું તે કોણ ઓ ખુદા સાગરમાં ન્હાય છે ?

અજ્ઞાનતાને કારણે અશ્રુ ન સાચવ્યાં,
સુણ્યું છે ટીપે ટીપે સરોવર ભરાય છે

ભોળા હ્દયનો માનવી માને છે એને સુખ
દુ:ખ દર્દ થોડા દિવસ જો થાક ખાય છે

એના જ કારણે એ નિરાકાર રહી ગયો
પીંછી ફર્યા વિના કહીં આકાર થાય છે ?

માણી લે ચાંદનીની મજા હમણા ઓ ગરીબ
કારણ શશી મનુજના કબ્જામાં જાય છે

લાચાર થઇને દ્રશ્ય આ જોઉં છું હું ‘જલન’
કંચન સરીખા તારલા માટીમાં જાય છે

- જલન માતરી

દુઃખી થાવાને માટે કોઇ ધરતી પર નહીં આવે…

દુઃખી થાવાને માટે કોઇ ધરતી પર નહીં આવે;
હવે સદીઓ જશે ને કોઇ પયગમ્બર નહીં આવે.

છે મસ્તીખોર, કિંતુ દિલનો છે પથ્થર, નહીં આવે;
સરિતાને કદી ઘરઆંગણે સાગર નહીં આવે.

ચમનને આંખમાં લઇને નીકળશો જો ચમનમાંથી,
નહીં આવે નજરમાં જંગલો, પાધર નહીં આવે.

અનુભવ પરથી દુનિયાના, તું જો મળશે કયામતમાં,
તને જોઇ ધ્રુજારી આવશે, આદર નહીં આવે.

દુઃખો આવ્યાં છે હમણાં તો ફકત બેચાર સંખ્યામાં,
ભલા શી ખાતરી કે એ પછી લશ્કર નહીં આવે.

હવે તો દોસ્તો ભેગા મળી વ્હેંચીને પી નાખો,
જગતનાં ઝેર પીવાને હવે શંકર નહીં આવે.

આ બળવાખોર ગઝલો છોડ લખવાનું ‘જલન’ નહીંતર,
લખીને રાખજે અંજામ તુજ સુંદર નહીં આવે.

કરીને માફ સ્નેહીઓ ઉઠાવો એક બાબત પર,
’જલન’ની લાશ ઊંચકવા અહીં ઇશ્વર નહીં આવે.

તકદીર ખુદ ખુદાએ લખી, પણ ગમી નથી…

તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી,
સારું થયું કે કોઈ મનુજે લખી નથી.

કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય,
નિજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી.

શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર?
કુરઆનમાં તો ક્યાંય પયમ્બરની સહી નથી.

ડૂબાડી દઈ શકું છું ગળાબૂડ સ્મિતને,
મારી કને તો અશ્રુઓની કંઈ કમી નથી.

મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે ‘જલન’,
જીવનની ઠેસની હજુ કળ વળી નથી.

- શ્રી ‘જલન’ માતરી

Follow

Get every new post delivered to your Inbox.